અભયારણ્ય શબ્દ બે અલગ અલગ શબ્દો અભય અને અરણ્ય ની સંધિ દ્વારા બનાવવામાં આવેલ છે. જે અરણ્યમાં ભય ન હોય તેને અભયારણ્ય કહેવામાં આવે છે. જગતમાં ઘણી જગ્યાઓને અભયારણ્ય તરીકે જાહેર કરી સુરક્ષિત કરવામાં આવેલી છે.અભયારણ્યોમાં શિકાર કરવાની મનાઇ ફરમાવવામાં આવેલી હોય છે, તેમજ પશુપંખીઓને વિહાર કરવાનું યોગ્ય વાતાવરણ મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાત રાજ્યનો 23.28% હિસ્સો કચ્છના ભાગે વારસામાં મળ્યો છે.ત્યારે આંકડાકીય દ્રષ્ટીએ જોઈએ તો,45,652 ચો.કિમી ના સરહદી જિલ્લામાં 23,452 ચો.કિમી મેદાની પ્રદેશ છે,તો 19,300 ચો.કિમી રણ વિસ્તાર થકી કચ્છે રણપ્રદેશની આગવી ઓળખ મેળવી છે. રાજ્યના કુલ 28 સંરક્ષિત ક્ષેત્રમાંથી 4 અભયારણ્યઅને 1 સંરક્ષિત ક્ષેત્ર કચ્છના ભાગે આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આપણા દેશનું સૌથી નાનું અભયારણ્ય બે કિલોમીટરનું અબડાસામાં આવેલું છે,ઘોરાડ અભયારણ્ય અને ગુજરાત રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય એટલે ગ્રેટર રણ ઓફ કચ્છ મોટા રણમાં 7506.22 ચો.કી મી સાથે અવ્વલ છે.
ઘોરાડ અભયારણ્ય ,નલિયા

આ અભયારણ્ય ની સ્થાપના 1992માં થઇ,જખૌ અને બુડિયા ના વિસ્તારને આવરતા 2 કિલોમીટરના વિસ્તાર માત્રમાં તે સીમિત છે.. નલિયાથી 15 કી.મી અને ભુજથી 110 કી.મી દુર આવેલ આ અભયારણ્યમાં ગુજરાતમાં માત્ર ઘોરાડ અહિયાં જ જોવા મળે છે. ઘોરાડએ એક અત્યંત સંકટગ્રસ્ત પક્ષી પ્રજાતિ છે.અને IUCN Red List દ્વારા 2011 ના તેને 'વિલુપ્તિના આરે' આવેલી પ્રજાતિ જાહેર કરાઈ છે.આ ઉપરાંત તેને ભારતીય વન્યજીવ અધિનિયમન 1972 માં તેને અનુસૂચી 1 માં મુકવામાં આવેલું છે. ભૂતકાળમાં ભારતમાં 11 રાજ્યમાં 1260 જેટલા ઘોરાડ હતા,જે હાલ 150થી પણ ઓછા બચ્યા છે.જેમાંથી 10 થી પણ ઓછા હવે અબડાસામાં છે.
નારાયણ સરોવર અભયારણ્ય

નારાયણ સરોવર અભયારણ્ય - 444.23 ચો.કિમી વિસ્તાર ધરાવતા આ અભયારણ્ય ની જાહેરાત ઈ.સ 1981માં કરી હતી,અહી 15 ભયગ્રસ્ત વન્યજીવ સંપદા,184 પક્ષી પ્રજાતિઓ અને 19 શિકારી પક્ષીઓનું નિવાસ સ્થાન છે.સામાન્યત: અહી જોવા મળતું પ્રાણી ચિંકારા છે.આ ઉપરાંત અહી 252 પ્રકારના ફૂલના છોડની વૈવિધ્યતા પણ જોવા મળે છે. આ સંરક્ષિત વિસ્તાર ચિંકારા અભ્યારણ્યથી પણ ઓળખાય છે. હેણોતરો માત્ર આ વિસ્તારમાં જોવા મળે છે.
કચ્છ રણ અભયારણ્ય

કચ્છ રણ અભયારણ્ય - ગ્રેટર રણ ઓફ કચ્છ એટલે મોટા રણમાં 7506.22 ચો. કી મી વિસ્તાર સાથે તે રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય છે. ફેબ્રુઆરી 1986 માં સંરક્ષિત વિસ્તાર તરીકે આ ક્ષેત્ર જાહેર થયું.એશિયાની એકમાત્ર વિશ્વ પ્રખ્યાત ફ્લેમિંગો સીટી અહી આવેલી છે,જે સુરખાબનું પ્રજનન સ્થાન છે. આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો.અહી લાખોની સંખ્યામાં સુરખાબ દર વર્ષે આવે છે. અહી સુરખાબના માળાનું પ્રથમ નિરીક્ષણ 1883 માં સ્વર્ગસ્થ મહારાવ ખેંગારજી દ્વારા થયું હતું.
ઘુડખર અભયારણ્ય

ઘુડખર અભયારણ્ય -આ અભયારણ્ય ન માત્ર કચ્છ બલકે,સુરેન્દ્રનગર,પાટણ,રાજકોટ અને બનાસકાંઠા સહિતના પાંચ જિલ્લાઓની જમીની ભાગીદારી સાથે 4953.70 ચો. કિ.મી માં વિસ્તરેલું ભારતનું ચોથા ક્રમનું સૌથી મોટું અભયારણ્ય છે,જેના નામ પરથી આ વિસ્તાર જાણીતો છે તે જંગલી ગધેડા (ઘુડખર) નું ભારતમાં આ એકમાત્ર રહેણાંક છે.2015 ની વસ્તી ગણતરી મુજબ હાલ 4451 ઘુડખર નોંધાયા છે,જે 2009 ની વસ્તી ગણતરી મુજબ 4038 હતા.અહી 33 જાતના સ્તનધારી પ્રાણીઓ વસે છે,અહી 29 જાતના સરીસૃપો ને આ જમીન આશરો આપે છે,જેમાં 14 પ્રકારની ગરોળીઓ અને 12 પ્રકારના સાપનો સમાવેશ થાય છે.સાથે સાથે વિવિધ પ્રકારના 178 પક્ષીઓનું માનીતું ઘર છે !
છારીઢંઢ સંરક્ષણ ક્ષેત્ર

છારીઢંઢ સંરક્ષણ ક્ષેત્ર- છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર બન્યું, જે બન્ની અને ભુજ વચ્ચે આવેલું છે.આ વિસ્તારમાં છીછરા તળાવો છે,અહીનું તાપમાન 6 થી 47 ડીગ્રી સુધી ઋતુ પ્રમાણે બદલાતું રહે છે,જેથી જૈવ વૈવિધ્યતા વધુ છે.આ વેટલેન્ડ 227ચો.કી મીના વિસ્તારમાં સંરક્ષિત છે.આ વિસ્તાર પ્રવાસી પક્ષીઓ અને શિકારી પક્ષીઓના માળાઓ અને રહેણાંક માટે અતિ ઉત્તમ છે.આ વિસ્તારમાં 2008માં 82,580 પક્ષીઓની હાજરી નોંધાઈ હતી તેથી કરીને 1992માં 22,700 હેક્ટર વિસ્તારને 'રણ પક્ષીઅભયારણ્ય' જાહેર કરવા પણ પ્રસ્તાવ મુકાયો હતો.
Comments